॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૮
ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિષે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીઆદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિષે જે અહંબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિષે જે મમત્વબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિષે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિષે વૈરાગ્ય થાય છે.”
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૭૧ થી ૮૦
આપણું તો દર્શન કરશે તેનું પણ કલ્યાણ થાશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાળે નહિ, ને આ તો મુક્તે દેહ ધર્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકર તો દેહ રહે નહિ.
મહારાજની કહેલી વાત કરી જે, “મહારાજ કહે જે, ‘કરોડ વહાણે કરીને એક મનવાર૧ ભરાય એવી સો કરોડ મનવાર્યું ભરવી છે, એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો જે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી, એમ વિચાર કર્યો જે, અમારું દર્શન તે કેટલાક જીવને થશે? માટે અમારા સાધુનાં દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો જે, સાધુનું દર્શન પણ કેટલાક જીવને થાશે? માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ; ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ કરવું છે.’”
ગુરુનું અંગ બોલાવ્યું, તેમાં પ્રશ્ન પૂછ્યો જે, “આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે પણ કાંઈ પુરુષપ્રયત્નનું તો કહ્યું નથી તે કેમ સમજવું?” ત્યારે તેનો ઉત્તર કર્યો જે, “સર્વે વાત ગુરુ જ કરે છે, ત્યારે અહીં અવાણું છે. અને હમણાં એમ છે જે, સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે, પછી કોઈક ટોકે તો પણ ન ખમાય, ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જાય. માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે.”
ભગવાન ને સાધુના મહિમાની બહુ વાત કરી. ત્યારે પ્રશ્ન પૂછ્યો જે, “આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી?” તેનો ઉત્તર કર્યો જે, “સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ, પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે, ને ઠામૂકું આપે તો ગાંડા થઈ જવાય. માટે એ ભગવાન ઠીક જ કરે છે.”
આ તો અનંત ભગવાનના ભગવાન છે, એટલું જ કહીએ છીએ. એથી આઘું કેટલુંક કહીએ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે.
આપણે તો ભગવાનનો ખપ નથી પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, “ભૂત વળગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું?”
ભગવાન જીવના ગુના સામું જોતા નથી. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે જે, “હું ગુનેગાર છું,” તો તેના ગુના ભગવાન માફ કરે છે.
અમને તો એક જન્મ-મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી.
“સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક ને આ દેહ તે ગમે નહિ ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય,” એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યો જે, “આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે, તેનું કેમ કરવું?” પછી તેનો ઉત્તર કર્યો જે, “એ દુઃખ સારું કરે છે, કેમ જે, નિર્માની રહેવાય; તે ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે. ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડ્યો તે ભેગી ઊલટી થઈ, તેમ બીજાને દેખાય તો એવું થાય.”
‘વચનામૃત’ વંચાવીને તેમાં બહુ વાત કરી ને બોલ્યા જે, “આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય પણ અનુગ્રહ થકી ન થાય; ને અનુગ્રહ કરે તો સમાધિ થાય, તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યાં ને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે.”



