🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-35
પ્રમુખપ્રસંગમ
કુલ ઓડિયો :
2
🆕 આજનો નવો ઓડિયો -28-08-2026
દિવસ -35▶ હાલમાં સાંભળી રહ્યા છો
દિવસ -7▶ તમે છેલ્લે સાંભળ્યું હતું
દિવસ -1
00:00
© Know My Guru
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે, “તમે પ્રશ્ન પૂછો કાં અમે પૂછીએ.” ત્યારે મુનિએ કહ્યું જે, “હે મહારાજ! તમે પૂછો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા-મોટામાં પણ ખોટ્ય કાઢે એવો છે તોય પણ કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે?” ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજીમહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીએ તેના પ્રાણ જાય; તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી.”
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય? કે ન થાય?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં.” ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ એ ચાર વાનાં પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં, તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને એ ચાર વાનાં માંહેલું એક જો રાખે તો જેમ જય-વિજય ઘણાય ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠલોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરભાવે પરમેશ્વરનું ભજન કરે.”
સર્વ સાધન કરતાં સંગ બળવાન છે. કેમ જે, સંગ થકી જ સર્વ વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થાતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય ને વ્યવહારમાર્ગ પણ સંગ થકી આવડે છે. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. દેશકાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે, તથા નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણભક્તિને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. અને શિક્ષાપત્રીમાં પણ ‘નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો’ એમ કહ્યું છે ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વ શાસ્ત્ર સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો, તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે; ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે; ને એકદેશી સંગ થકી સર્વ જ્ઞાન પમાય નહિ. કેમ જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય અને સર્વે અંગે સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દર્લભ છે. અને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોવી. તેની વિક્તિ જે, એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો. બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું ને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા, એમ તપાસ કરવો.
સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એ સમજવાનું છે. ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે ‘સ્વરૂપનિર્ણય’માં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતાં બળવાન છે. તે શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી, એ કરવાનું છે. ને ઉપાસનાની વિક્તિ જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદરિકાશ્રમને પામે; તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે, ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, “જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે.” માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે.
આ જીવને પાંચ વાનાં અવશ્ય જોઈએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે. તેની વિક્તિ જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે.
જેમ ગાય વાછરું સારુ પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહિ.
મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે. ને એકથી લાખ રૂપિયા ખરચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહિ ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે.
ચાર વાતમાં સુખ છે. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદ્વિચાર ને ચોથું તો જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે; ને સુખ તો ત્રણ વાતમાં જ છે. ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી ને આત્મા રૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે. તેમાં કામાદિક દોષ જ નથી, જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ.
મોટા મોટાના શબ્દની હાર્યું કરીને તપાસ કરવો જે, એમનો શું મત છે ને એ શું કરવાનું કહે છે, એ કેમ વર્તે છે, એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું.
“સારા ભગવદી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્યગર્ભાનંદ ગયા ને હમીરે પણ ઘણીક ભક્તિ કરી હતી તો પણ ગયો,” એ વાતો વિસ્તારે કરીને કહી.
પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે; તેની વિક્તિ જે - સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા.
જેવો સાંઢ હોય તેવું વાછરું આવે અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમ જ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે.
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખીને પ્રશ્ન-ઉત્તર કરો.” પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માયિક એવાં જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે તેનું શું કારણ છે?” પછી તેનો ઉત્તર મુક્તાનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહીં અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે, એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઊપજી જે પ્રજા તેમાં પણ સહજે જ હેત થાય છે. તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિષે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને જો માયિક પદાર્થને વિષે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદાદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારુ પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં.”
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “હવે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો તે પ્રશ્ન કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી, તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ ક્લેશને પામે છે? એ પ્રશ્ન છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, એનો ઉત્તર અમે કરીએ જે, પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો-અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલો તેને ક્લેશ થાય છે. માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે, અને ગૃહસ્થને પણ બ્રહ્મચર્ય કહ્યું છે જે, પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુ સમે સ્ત્રીનો સંગ કરવો; એ આદિક જે જે ત્યાગીને અને ગૃહસ્થને નિયમ કહ્યા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને ક્લેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે.”
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના પોષ વદિ ૫ પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્યારે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી થાય? તે એવો એક ઉપાય કહો.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દૃઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દૃઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં ત્રણ ભેદ છે. એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દૃઢ આશરો થાય છે, તે જેને દૃઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દૃઢ પ્રીતિએ કરીને ભગવાનનો દૃઢ આશરો કહેવાય છે. અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ -નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય. એવી રીતે જેની દૃષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દૃઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં.”
એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કહો તો તમને એક પ્રશ્ન પૂછું?” ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, “પૂછો, મહારાજ!” પછી એમ પૂછ્યું જે, “અમે કહ્યાં જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે? અને એ ત્રણ અંગ ભગવાનના ભક્તને મિશ્રિત હોય પણ તેમાં જે અંગ પ્રધાન હોય તેનું તે અંગ કહેવાય. માટે મૂઢપણું, પ્રીતિ અને સમજણ એ જે ત્રણ અંગ તેમાં તમારું કયું અંગ છે?” પછી મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “અમારે તો સમજણનું અંગ છે.” અને બીજા સાધુએ પણ જેને જે અંગ હતાં તે કહ્યાં.
“આપણા દેહમાં જીવ ભેળો કોટાનકોટિ સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ન રહે,” એમ મહિમા કહ્યો.
મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો બે હજાર માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થાતા જાય, એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે.
મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ જ કરાવવું છે. ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહિ. ત્યારે હવે આપણે શું કરીએ? ને આવો જોગ છે તેમાં નહિ સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહિ જોડાય તો તે મોડો ધામમાં જાશે, એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને આ કારખાનાં તો દહાડે દહાડે વધતાં જાશે.
આ સાધુ જેવા છે એવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહિ. ને કાંઈક ચમત્કાર જણાવે તો તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંધીખાનાં થાય. માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે.
વ્યવહારેણ સાધુઃ, તે એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી.
“આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ, ને મોટા હૈયામાં સ્ફુરે તેણે કરીને સુખ વરતે.”
“આ જીવને કોઈ દહાડો ઘડપણ આવતું હશે કે નહિ?” એમ કહીને વળી કહ્યું જે, “જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે પણ તે વિના તો ઘડપણ આવે નહિ.”
ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે ને આપણું તો ભગવાન બહુ માની લે છે.
જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. તે ઉદ્ધવ જ્ઞાની. ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા, પણ જ્ઞાન વિના અધૂરું. ને સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહીં, પછી સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી. તો પણ મહારાજનો મત નિજાત્માનં બ્રહ્મરૂપં માનવું એમ છે.
પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહિ. એને તો જ્ઞાને કરીને હેત થાય, ને કૃપાનંદ સ્વામીનું ને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું, એમ મહારાજ કહેતા.
🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-35 પ્રમુખપ્રસંગમ કુલ ઓડિયો : 2 🆕 આજનો નવો ઓડિયો -28-08-2026 દિવસ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates