🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-46
પ્રમુખપ્રસંગમ
કુલ ઓડિયો :
2
🆕 આજનો નવો ઓડિયો -08-09-2026
દિવસ -46▶ હાલમાં સાંભળી રહ્યા છો
દિવસ -7▶ તમે છેલ્લે સાંભળ્યું હતું
દિવસ -1
00:00
© Know My Guru
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૧ એકાદશીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો તેણે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યું જે, “સમાધિને વિષે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો જે, આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. અને એવું કોઈ પદાર્થ નથી જે, જેને વિષે આકાશ ન હોય; કેમ જે, પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિષે પણ આકાશ છે અને તે એક રજના કોટાનકોટિ કટકા કરીએ તો પણ તેને વિષે આકાશ છે. માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતાં નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે. અને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિષે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિષે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિષે છે. એવો જે આકાશ તે પ્રકૃતિપુરુષ અને તેનું કાર્ય જે પિંડ-બ્રહ્માંડ એ સર્વને માંહી પણ રહ્યો છે ને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે એ આકાશ તે તો સુષુપ્તિને વિષે અથવા સમાધિને વિષે લીન થતો નથી. અને કોઈ કહેશે જે, ‘આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઊપજ્યાં છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય? ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય?’ તો એનો ઉત્તર એ છે જે, પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ-પુષ્પાદિ બહાર નીસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નીસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ નીસરે છે તે કેમ નીસરે? માટે પ્રકૃતિને વિષે આકાશ રહ્યો છે અને મહત્તત્ત્વમાંથી અહંકાર નીસરે છે માટે મહત્તત્ત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નીસરે છે માટે અહંકારને વિષે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી આકાશ આદિક પંચભૂત નીસરે છે માટે તમોગુણને વિષે પણ આકાશ રહ્યો છે. અને તમોગુણમાંથી જે આકાશ નીસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે, અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે. અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. અને એ આકાશને વિષે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી-પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્ત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે, એવી રીતે જે એ પ્રકૃતિ તે ચોવીસ તત્ત્વરૂપે ને પિંડ-બ્રહ્માંડરૂપે થાય છે એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે; અને જેટલાં પ્રકૃતિનાં કાર્ય છે તેને વિષે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે; અને પુરુષ પણ પ્રકૃતિનાં કાર્ય સર્વ નાશ પામ્યાં ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાનાં સર્વ અંગ બહાર કાઢે છે અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાનાં અંગ તાણી લે છે, તે રુંડમુંડ થઈ રહે છે; તેમ પુરુષ-પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થા છે. અને એ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિષે અન્વય-વ્યતિરેકપણું પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી; કેમ જે, જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે લોકાલોક પર્વત છે તે ગઢની પેઠે રહ્યો છે અને તે લોકાલોકની બહાર તે અલોક છે અને તે અલોકથી પર સપ્ત આવરણ છે અને તેથી પર એકલું અંધારું છે અને તે અંધારાથી પર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમ જ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની ઉપર સપ્ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે અને અંધકારને પાર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. અને તેમ જ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય ને તેથી હેઠાં સપ્ત આવરણ છે ને તેથી હેઠું અંધકાર છે તેથી હેઠો પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માંહી પણ છે. અને એવો જે એ સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દૃષ્ટિ વર્તતી હોય તેને દહરવિદ્યા કહીએ, અને અક્ષિવિદ્યા આદિક ઘણીક પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તે માંહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે. અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ-વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કહ્યો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકારરૂપ છે, તેની લીનતા થાય છે પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો!” પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલ્યા જે, “હવે કોઈને લેશમાત્ર સંશય નથી.”
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૧૦ દશમીને દિવસ સાંજને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! કેટલાક વેદાંતી એમ કહે છે જે, ‘ભગવાનને આકાર નથી,’ અને તેવા જ પ્રતિપાદનની શ્રુતિઓને ભણે છે. અને કેટલાક જે નારદ, શુક, સનકાદિક સરખા ભગવાનના ભક્ત છે તે તો ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરે છે. તે એ બેમાંથી કોણ સાચા છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહાતેજોમય-મૂર્તિ છે. અને અંતર્યામીપણે કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિએ પણ એમ કહ્યું છે જે, ‘તે ભગવાન માયા સામું જોતા હવા,’ અને જ્યારે જુએ ત્યારે તેને શું એકલી આંખ્ય જ હોય? હાથ-પગ પણ હોય; માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જીવરૂપ જે વરુણ તે પોતાના લોકને વિષે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે, અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ તે અગ્નિલોકને વિષે સાકાર છે, અને જેમ સમગ્ર તડકો તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળને વિષે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ જે બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર છે અને એ સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ તે પુરુષોત્તમ ભગવાનનું તેજ છે. અને કોઈ એમ કહેશે જે, શ્રુતિમાં એમ કહ્યું છે જે ‘પરમેશ્વર તો કરચરણાદિકે રહિત છે ને સર્વત્ર પૂર્ણ છે,’ તો એ જે શ્રુતિએ કરચરણાદિકનો નિષેધ કર્યો છે તે તો માયિક કરચરણાદિકનો નિષેધ કર્યો છે, અને ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે પણ માયિક નથી. અને અંતર્યામીપણે કરીને જીવ-ઈશ્વરને વિષે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તેજ તે નિરાકાર છે તો પણ જીવ-ઈશ્વર સર્વેને તેમના કર્મને અનુસારે યથાયોગ્યપણે કર્મના ફળને દેવાને વિષે નિયંતાપણું છે ને સાકારની પેઠે નિયંતારૂપ ક્રિયાને કરે છે, માટે તે તેજને પણ સાકાર જેવું જાણવું. એવી રીતે ભગવાન પુરુષોત્તમ તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને જે નિરાકાર કહે છે તે તો સમજતા નથી.”
વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું, એ જ કઠણ છે ને કરવાનું પણ એ જ છે.
કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે.
ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે; અને મુક્ત, મુમુક્ષુ ને વિષયી એ ત્રણને ક્રિયા વિષે ભેદ છે. ને કોઈક ક્રિયા કરવામાં પોતાને મૂંઝવણ થાય તો કહેવું જે, “મુને કાંઈ બીજું બતાવો,” પણ મૂંઝાવું નહિ.
આ જીવને મુઆ સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા. ને આત્મા ને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી, એમ મહારાજનો મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે ને ત્યાગના, ભક્તિના અને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે.
ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું જે, “બે-ચાર-પાંચ જણ એક રુચિવાળા બે-ચાર-પાંચ વરસ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠિ કરે તો આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય.”
કુરૂપવાન સ્ત્રીમાં મન તણાય નહીં ને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે, એવો જીવનો સ્વભાવ છે ને માલ તો એ બેયમાં એક જ છે, પણ તેમાં સ્વરૂપવાન સ્ત્રી જેવી બંધનકારી છે તેવી કુરૂપવાન સ્ત્રી બંધનકારી નથી. તેમ જ સારું ઘોડું તેમાં દુઃખ છે એવું ઊતરતામાં નથી, કેમ જે, પડીએ તો થોડું વાગે ને બાજરો ખડ પણ થોડું જોઈએ ને તેનું ઝાઝું રક્ષણ કરવું ન પડે. તેમ જ સારું ખાવામાં, સારાં લૂગડાંમાં એ આદિક અનેક વિષય છે, તે સર્વેમાં જેવું સારામાં બંધન છે એવું ઊતરતામાં નથી, પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહિ ને પદાર્થનો વિચાર આદિ-અંત્યનો કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે.
ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વ-કારણપણું સમજવું. ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ, સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે. ને પુરુષોત્તમના ભક્તમાં ને બીજા અવતારના ભક્તમાં કેમ ભેદ છે? તો જેમ હાથણી વિયાય ત્યારે તેને ભેંસ જેવડું બચ્ચું આવે ને જૂ વિયાય ત્યારે તેને લીખ આવે, એમ ભેદ છે. ને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ એમ ભેદ છે. વળી, મહારાજ કહેતા જે, શ્રીકૃષ્ણે તો અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવાં નામ પાડ્યાં. ને અમે તો નિત્યાનંદ, નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવાં નામ પાડ્યાં. વળી, જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખાં ને બીજા કોઈકનું નામ શેરખાં; એમ અવતારમાં ભેદ છે.
જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય.
મહારાજે તેરેથી કાગળ લખાવ્યો જે, “વરસ દહાડામાં એક મહિનો સર્વે સાધુ-સત્સંગીને મુક્તાનંદ સ્વામીની વાતું સાંભળવી ને બાઇયું સૌને મોટી ડોસિયુંની વાતું સાંભળવી. ને જે એમ નહિ કરે તેને વિઘ્ન થાશે ને સંસારનું બંધન થાશે.” તે સંસારનું બંધન તો શું? પણ તે કરતાં અનંતગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો.
સર્વ કરતાં સંત મોટા, તેનો મહિમા કહ્યો. તેની વિક્તિ જે, સર્વ કરતાં પૃથ્વી મોટી ને તેથી જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ ને મૂળ પ્રકૃતિપુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટાં છે ને તે સર્વના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને જે સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે મોટા છે.
સંવત ૧૮૭૬ના મહા સુદિ ૮ આઠમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને તે પાઘને એક આંટે કરીને બોકાની વાળી હતી ને પાઘ ઉપર ધોળાં પુષ્પનો હાર વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને વિષે સ્નેહ હોય તેનું શું રૂપ છે?” પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “તમને તો સ્નેહની દિશ જ જડી નહીં અને તમે જે પિંડ-બ્રહ્માંડથી નિઃસ્પૃહ રહેવું તેને સ્નેહ કહ્યો એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ જે, ‘ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે,’ એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિષે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂડ્યનો ખોબો ભરીને નાંખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે, તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે; એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિષે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે.”
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી દૃઢ પ્રીતિ ભગવાનને વિષે થાય તેનું શું સાધન છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિષે દૃઢ પ્રીતિ થવાનું કારણ છે.” ત્યારે સોમલો ખાચર બોલ્યા જે, “એવો પ્રસંગ તો અતિશે કરીએ છીએ પણ એવી દૃઢ પ્રીતિ કેમ થતી નથી?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિષે દૃઢ પ્રીતિ થતી નથી.”
પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું જે, “હે મહારાજ! દેહ અને દેહના સંબંધીને વિષે અહંમમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે, ‘પોતાને દેહથી પૃથક્ જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે.’ અને એ જીવાત્માને વિષે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને જે, ‘દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી મા છે,’ એમ જે માને તે મૂર્ખ કહેવાય; તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે, તે દેહને વિષે પોતાપણું માને અને તે દેહનાં માબાપને પોતાનાં માબાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. અને ચોરાશી લાખ જાતમાં જે પોતાની મા-બોન, દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહંમમત્વના ઘાટ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિષે સાધુપણું આવતું નથી. માટે દેહ ને દેહનાં સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે, મારે વર્ણાશ્રમનું લેશમાત્ર માન નથી.” એવી રીતે શ્રીજીમહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છે.
🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-46 પ્રમુખપ્રસંગમ કુલ ઓડિયો : 2 🆕 આજનો નવો ઓડિયો -08-09-2026 દિવસ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates