🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-58
પ્રમુખપ્રસંગમ
કુલ ઓડિયો :
2
🆕 આજનો નવો ઓડિયો -20-09-2026
દિવસ -58▶ હાલમાં સાંભળી રહ્યા છો
દિવસ -58▶ તમે છેલ્લે સાંભળ્યું હતું
દિવસ -1
00:00
© Know My Guru
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના ફાગણ સુદિ ૫ પંચમીને દિવસ સંધ્યા આરતીને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જે પરમહંસની જાયગા ત્યાં વિરાજમાન હતા અને સર્વ ધોળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન કરો.” પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! જ્યારે ભજન-સ્મરણ કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તના અંતરમાં રજોગુણ, તમોગુણના વેગ આવે ત્યારે ભજન-સ્મરણનું સુખ આવતું નથી, તે એ ગુણના વેગ કેમ ટળે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ગુણની પ્રવૃત્તિનાં કારણ તો દેહ, કુસંગ અને પૂર્વ સંસ્કાર એ ત્રણ છે; તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા-અનાત્માના વિચારે કરીને ટળી જાય છે અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે અને જે રજોગુણ, તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે.”
પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.”
પછી વળી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “શો ઉપાય કરે તો મોટાપુરુષ રાજી થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા એ સર્વનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળેભાવે રહે પણ દેહે કરીને સર્વેને નમતો રહે, તો એની ઉપર મોટા સંત રાજી થાય છે.”
પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિનદિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય અને જો મોટાપુરુષને વિષે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય. અને મોટાને વિષે ક્રોધી-લોભીપણું પરઠે તો પોતે ક્રોધી-લોભી થાય. અને જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે? તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહજે અભાવ રહે છે તેમ જેને સહજે અભાવ રહે છે અને એક પરમેશ્વરના સ્વરૂપને વિષે અચળ નિષ્ઠા વર્તે છે, તેને પાકો હરિભક્ત જાણવો. તે એવો પાકો હરિભક્ત થયાનો તો એ જ ઉપાય છે જે, પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે, ‘એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું,’ એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે. અને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”
એક દિવસ વેદાંતી આગળ એમ વાત કરી જે, “ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સત્શાસ્ત્રના અર્થને અવળા અર્થના કરનારા છે, તે તો અનંત જન્મ સુધી ને ત્રેતાયુગમાં દસ હજાર વરસ સુધી ને દ્વાપરયુગમાં હજાર વરસ સુધી ને કળિયુગમાં સો વરસ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાઢશે પણ બાળો સાદ કાઢીને રોશે નહિ ને એમ ને એમ અનંત કલ્પ સુધી દુઃખને ભોગવશે, પણ સુખ તો નહિ જ થાય.” એમ કહીને બોલ્યા જે, “સ્વામિનારાયણે આ પૃથ્વીને વિષે આવીને પાંચ પગ રોપ્યા છે તેને ખોટા કરીને જીવનું રૂડું થાય, એમ કહી દેખાડો અને તે પાંચ પગ તે શું? તો નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ ને નિર્માન એ જે પાંચ પગ રોપ્યા છે તેને ફેરવવાને કોઈ સમર્થ નથી. જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઈથી ઊપડ્યો નહિ, તેમ અમે પણ પગ રોપ્યા છે તે કોઈથી ખોટા નહિ થાય.” એમ કહીને નાહવા પધાર્યા.
“મહારાજે અનંત પ્રકારની વાતું જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે; પણ તેમાં ચાર વાતું છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના ને બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું, એ ચાર વાતું તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહિ. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ આઠ અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિષે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિષે ગૌણપણું દેખાડી દે ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડગોટા વાળતો હોય એ બેયને એકપણે કરી મૂકે ને ભગવદીને વિષે દોષ દેખાડી દે; એ આઠ દેશાદિક તો અસત્પુરુષને વિષે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો.” ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું જે, “મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “હું તો ઘણોય સુખિયો કરી મૂકું પણ તેમ તમારાથી થાય નહિ, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ, ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહિ.” ત્યારે વળી પૂછ્યું જે, “તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય?” ત્યારે સ્વામી બોલ્યા જે, “આ બે જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે. પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે.” એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા.
“સાધુ તો ક્યાં ઓળખાય છે?” એમ કહીને બોલ્યા જે, “જે વરસે છત્રિયું ભાંગિયું ને પટારા કઢાવ્યા તે દિવસે એક સાધુએ મને એમ કહ્યું જે, ‘આ ભજનાનંદ સ્વામી જેવા સત્સંગમાં કોઈ સાધુ નથી, કેમ જે, બીજાના પટારામાંથી નીસર્યું પણ એના પટારામાંથી કાંઈયે ન નીસર્યું.’ ત્યારે મેં કહ્યું જે, ‘તારું કપાળ નીસરે? ગામમાં ક્યાંઈ મૂક્યું હશે. ને કાંઈ ન હોય તો બે પટારા રાખવાનું શું કામ હોય? અને સત્સંગમાં વૈદું કરી કરીને પદાર્થ તો ઘણા ભેગા કર્યા હતા, તે કુસંગમાં ક્યાંઈ રહ્યા, પણ સત્સંગના કામમાં આવ્યા નથી.’ તે જુઓને એવાને પણ બહુ મોટા માન્યા હોય! માટે સાધુ ઓળખાય નહિ.” એમ કહીને વળી બોલ્યા જે, “પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યાં, ત્યારે સર્વે સાધુને કહ્યું જે, ‘ગુરુ ગુરુ હોય તે ઊઠીને એક કોરે બેસો.’ ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વે ઊઠીને એક કોરે બેઠા. પછી મહારાજે કહ્યું જે, ‘જેને જ્યાં મળતું આવે તેમ તમે બેસો.’ પછી જેને જેમ મળતું હતું તેમ તે સર્વે બેઠા.” પછી સ્વામી કહે, “હું બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતો તે ઊઠીને આત્માનંદ સ્વામી પાસે જઈને બેઠો; કેમ જે, બ્રહ્માનંદ સ્વામી ટોકે નહિ ને પોતે તો મહા કવિરાજ તે ખાવાનું બહુ આવે તે જુવાન અવસ્થાવાળાને ઠીક નહિ. પછી મહારાજ ઊઠીને જ્યાં સંતનાં મંડળ બેઠાં હતાં ત્યાં આવીને જોતે જોતે જ્યાં આત્માનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવીને મને કહ્યું જે, ‘તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા ને?’ પછી મેં કહ્યું જે, ‘આત્માનંદ સ્વામી ઘરડા સાધુ છે. તેની સેવાનો કરનારો કોઈ નથી તે સારુ રહ્યો છું.’ પછી મહારાજે કહ્યું જે, ‘ઠીક.’ પછી તો સર્વેને જોઈને બોલ્યા જે, ‘ગુરુયે મૂરખ છે ને ચેલાયે મૂરખ છે! કેમ જે, સત્સંગના સ્તંભ જેવા છે તેને ઓળખતા નથી ને ઓલ્યા હિંદુસ્તાનમાં લઈ જાય એવા છે તેની પાસે જઈને રહ્યા છે. ને ગુરુયે મૂરખ છે જે, સાધુની ગરજ રાખતા નથી, માટે કાંઈક ગરજ રાખવા શીખો.’ એટલી શિક્ષા કરીને ગુરુ ગુરુનાં મંડળ બંધાવ્યાં.” પછી સ્વામી કહે જે, “અમારી પ્રકૃતિ તો એકે સાધુ રાખીએ એવી નહોતી પણ મહારાજની મરજી જોઈને બધાય સત્સંગની ખબર રાખવી પડે છે. નીકર તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોઈએ જ નહિ. તે એક દહાડો પુસ્તક બાંધતાં હાથમાંથી પડી ગયું, તે પાછું બાંધ્યું જ નથી. કેમ જે, જ્યારે પુસ્તક બાંધીએ ત્યારે ભગવાન ક્યારે સંભારીએ?” એમ કહીને બોલ્યા જે, “એવી રીતે બાળમુકુન્દાનંદ સ્વામી કહેતા જે, બીજા તો આ બેલાં હૈયા ઉપર ખડકે છે ને તેને કોઈક મુકાવે તો મૃત્યુ થાય; ને આપણે તો બહાર જ ખડકવાં છે ને હૈયામાં તો મહારાજ રાખવા. એ વાતું એકાંતિકની છે.”
જીવ બીજે ક્યાંઈ અટકતો નથી, મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “મહારાજનાં ચરિત્ર દીઠાં, સાંભળ્યાં હોય તોય કહેતાં, લખતાં અટકે છે કેમ?” પછી સ્વામી બોલ્યા જે, “એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો. તે જ્યારે જાગ્યો ત્યારે તોળીને ઊભો, પણ પગ માંડે નહિ. પછી વૈદને દેખાડ્યો; ત્યારે વૈદે કહ્યું જે, ‘આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માંદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે તે પગ તોળીને ઊભો છે.’ ત્યારે પૂછ્યું જે, ‘એનું કેમ કરવું?’ ત્યારે એણે કહ્યું જે, ‘બસેં ઘોડાં સાબદાં કરો ને તોપુંના ને બંધૂકુંના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે.’ તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે તે આમ ને આમ નિરંતર ધડાકા ને પડકારા કરશું તો મૂકી દેશે,” એટલી વાત કરી. ને પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાનાં ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે, “કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી,” એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે, “સ્વામી પારસાવ્યા કે?” એમ કહીને જમવા પધાર્યા.
એક મોટા હરિભક્ત હતા, તેણે સ્વામીને બોલાવીને કહ્યું જે, “ગાડીમાં આવો.” ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યો જે, “હૃદયમાં ટાઢું કેમ થાય?” ત્યારે સ્વામી બોલ્યા જે, “ટાઢું તો, તો થાય જે, જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામુ જોઈ રહેશું ત્યારે ટાઢું થાશે.” એમ કહીને વળી બોલ્યા જે, “જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે, પણ દૂધનું સુખ આવે નહિ, તે તો જ્યારે આંચળને વળગે ત્યારે દૂધનું સુખ આવે છે. તે તો દૃષ્ટાંત છે ને એનું સિદ્ધાંત એ છે જે, આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે, તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે, તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે, જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ.”
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
પ્રમુખપ્રસંગમ
દિવસ -1
00:00
સંવત ૧૮૭૬ના મહા વદિ ૧૨ દ્વાદશીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન કસુંબલ રેંટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણધૂન્ય કરીને મુનિ ઝાંઝ-મૃદંગ લઈને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન-ઉત્તર કરીએ.” એમ કહીને વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, હું પ્રશ્ન પૂછું છું જે, શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે; અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે, માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે?” પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી. અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી; તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ છે; અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દૃઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીનવચન બોલાય નહીં તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે, ‘પાણી ઘણું થશે,’ અને જો ઉપરથી રણકતો હોય ને માંહી કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે, ‘કૂવામાં પાણી થશે તો અર્ધા કોશનું કે પા કોશનું થશે પણ વધુ નહીં થાય;’ તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય પણ જેવું અર્ધા કોશનું કે પા કોશનું પાણી થયું એવો મોટો થાય, પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં, તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે.”
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે તે માનને કયા ઉપાયે કરીને ટાળવું?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા-ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મબુદ્ધિને જ દૃઢ કરાવે, માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે. અને અંતર્દૃષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પનરવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બારવલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠવલું કહેવાય, તેમ એ ભક્તને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ ભળતો આવે તેમ તેમ એ ત્રણે ઓછાં થતાં જાય છે; માટે માનરહિત જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે તો સોળવલા સોના જેવાં છે અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં ઝાઝું બળ હોય નહીં. ત્યાં દૃષ્ટાંત છે: જેમ પચાસ કોટિ યોજન પૃથ્વી તે સમુદ્ર, પર્વત અને સર્વ ભૂતપ્રાણીમાત્ર તેનો આધાર છે, માટે ઘણી બળવાન જણાય છે. અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે જે, જળને વિષે પૃથ્વી છાણાની પેઠે તરે છે. અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે. અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કાંઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વથી બળવાન છે; કાં જે, એ ચારેનો આકાશ આધારરૂપ છે. તેમ માનરહિત જે એ ભક્તનાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ સરખાં બળવાન છે; માટે ઉપરથી તો જણાય નહીં પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ-સંકલ્પ હોય નહીં, તેમ જ સાધુને તો ગમે તેટલી પૂજા-પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માનરહિત વર્તવું.”
પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું જે, “ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે, એવું સત્સંગમાંથી સાંભળીને દૃઢ નિશ્ચય કર્યો છે તોય પણ ઇન્દ્રિયો-અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન-સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખિયો કેમ થઈ જાય છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટ્યપ પામે છે તથા પરમ પદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા-અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે, ‘હું આત્મા-અનાત્માની વિગતિ કરી લઉં,’ એમ વિગતિ થતી નથી. એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિષે નિષ્ઠા હોય તેટલો જ આત્મા-અનાત્માનો વિવેક થાય છે, પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતાં નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયાં છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે, ‘ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે, પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાનાં ધામ તેને વિષે એક એક નખમાં કોટિ કોટિ સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મર્ત્યલોકને વિષે ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે, પણ એ તો સૂર્ય, ચંદ્રાદિક સર્વને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિષે તો રાધિકા, લક્ષ્મી આદિક જે પોતાનાં ભક્ત છે તેમણે નિરંતર સેવ્યા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રચવાને સમે પણ પ્રકૃતિપુરુષ દ્વારે કરીને અનંત કોટિ બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે.’ એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા-અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના માહાત્મ્યે સહિત ભગવાનને વિષે નિષ્ઠા છે તેટલો જ એ ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે, માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે, ‘ગમે તેવો પાપી હોય ને અંત સમે જો તેને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોહોલને વિષે નિવાસ કરે, તો જે એ ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે?’ એમ માહાત્મ્ય સમજે. તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું.”
🎧 ચાતુર્માસ ઓડિયો પ્લેયર - દિવસ-58 પ્રમુખપ્રસંગમ કુલ ઓડિયો : 2 🆕 આજનો નવો ઓડિયો -20-09-2026 ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates