જાણીતા નિર્માતા અને દિગ્દર્શક શ્રી અરવિંદ બબ્બલે જણાવ્યું,
“હું ૨૦૧૬ થી પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને આ દિવ્ય સંસ્થા સાથે જોડાયો છું અને પ્રથમ વખત હું સુરતમાં મહંતસ્વામી મહારાજને મળ્યો હતો જે અવિસ્મરણીય અનુભવ હતો, હું નિ:શબ્દ થઈ ગયો હતો, તેમની વાત્સલ્ય ભરી દૃષ્ટિથી મને તેમનામાં મારા પિતાની અનુભૂતિ થઈ અને હું એ ક્ષણને જીવનભર ભૂલી નહિ શકું.
આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને હું આ સંસ્થા , સંતો અને હરિભકતોને દંડવત પ્રણામ કરું છું કારણકે આ અદ્ભુત નગરનું નિર્માણ બહુ જ કઠણ છે અને પ્રમુખસ્વામી મહારાજની દિવ્યશક્તિ સિવાય શક્ય નથી.”
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના મેમ્બર શ્રી અફરોઝ અહમદે જણાવ્યું,
“ પ્રમુખસ્વામી મહારાજે નર્મદા પરિયોજના માટે અથાગ પરિશ્રમ કર્યો હતો અને તેમની નિરંતર પ્રાર્થના અને આશીર્વાદના બળે આ પરિયોજના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
પ્રમુખસ્વામી મહારાજે આ પરિયોજનાની સફળતા બાદ સ્વહસ્તે સન્માનપત્ર લખીને મને મોકલ્યો હતો તે મેં આજે પણ સાચવીને રાખ્યો છે અને તે મારા માટે કોઈ એવોર્ડ કરતા પણ વધારે સન્માનની વાત છે.”
ગુજરાત સરકારના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી શ્રી પી. કે લહેરીએ (IAS) જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકોનું જીવન પરિવર્તન કર્યું છે અને લોકોને સદમાર્ગે વાળ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજ વિશે કઈ પણ કહેવું તે "નાના મોઢે મોટી વાત" જેવું છે પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે "રામ રાખે તેને કોણ ચાખે" તે મુજબ જીવનમાં દરેક અવસ્થા કે સુખ દુઃખ તમામનો સહર્ષ સ્વીકાર કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજને કોઈ પણ વસ્તુમાં આકર્ષણ કે આસક્તિ થાય તેવું ક્યારેય સાંભળ્યું નથી તેવા નિર્લિપ્ત પુરુષ હતા.
"વૈષ્ણવ જન નો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે" તે રીતે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા બીજાના દુઃખો દૂર કરીને તેમને શાતા આપી છે.”પ્રમુખસ્વામી મહારાજે વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે.
બીજેપીના વરિષ્ઠ રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ ડૉ. શ્રી સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું,
“આજે આ સંતો અને પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કર્યા તે મારા માટે સૌભાગ્યની વાત છે.
અપેક્ષા વગર સેવા કરીએ ત્યારે સાચા અર્થમાં સમાજ સેવા થઈ શકે છે અને તેનાથી અંતર શુદ્ધિ પણ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજે પણ એ જ રીતે નિઃસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી છે. ભલે પ્રમુખસ્વામી મહારાજ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે શીખવેલા જીવન મૂલ્યો અને આદર્શો આપણી વચ્ચે "અક્ષર" બનીને જીવનભર રહેશે. પ્રમુખસ્વામી મહારાજે સમાજને પારિવારિક મૂલ્યો શીખવ્યા છે જેનાથી સૌમાં પરિવાર ભાવનાની જ્યોત પ્રજ્વલિત થઈ છે. "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવના ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પણ આ જ ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં મંદિરોનું નિર્માણ કરીને માનવ ઉત્કર્ષના ધામ બનાવ્યા છે જે આવનારા લાખો વર્ષો સુધી લોકોને પ્રેરણા આપતા રહેશે.
આઝાદીનો અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સુભગ સમન્વય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજ અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી બંનેની જીવનભાવના સેવાની છે.”
ઇંડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટના પ્રમુખ, ડૉ. શ્રી વિનય સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું,
“દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ જેમનાથી પ્રેરણા અને માર્ગદર્શન લે એવા પ્રમુખસ્વામી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કર્યા એ મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકો પોતાની પ્રતિષ્ઠા અને હોદ્દો છોડીને એક સામાન્ય સેવક બનીને શ્રદ્ધા અને સમર્પણ સાથે સેવા કાર્યમાં જોડાયા છે.બી.એ.પી.એસ સંસ્થાને વિનંતી કરું છું કે "મંદિરનું સંચાલન" કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસક્રમ બહાર પાડે તો વિશ્વભરના મંદિરોનું સંચાલન સારી રીતે થઈ શકે.
બીએપીએસના મંદિરો સાંસ્કૃતિક વિકાસના કેન્દ્રો છે અને ભારતીય સંસ્કૃતિનો પરિચય વિશ્વભરના દેશોને કરાવે છે. ભારત આજે જી ૨૦ સમિટનું સંચાલન કરી રહ્યું છે ત્યારે તેનું સફળ સંચાલન કઈ રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર અને આ બીએપીએસ સંસ્થા છે.
પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને મને દૃઢ વિશ્વાસ છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો આવનારી સદીઓ સુધી જળવાયેલો રહેશે. પ્રમુખસ્વામી મહારાજ અને આ સંસ્થામાં ઉપભોગ શૂન્ય સ્વામિત્વ જોવા મળે છે.”
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન સેવામય રહ્યું હતું અને શુદ્ધભાવે અને પ્રમાણિકપણે સમાજ સેવા કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, "નિઃસ્વાર્થ ભાવે સાચા દિલથી સેવા કરવાની છે"
ભગવાન રાજી થાય એ વાત મનમાં રાખીને સેવા કરવી અને પ્રમુખસ્વામી મહારાજે પણ આ જ ભક્તિભાવથી સમાજસેવાનું કાર્ય કર્યું છે. "આપણું કાર્ય ભગવાન જાણે છે એ ધ્યેય રાખીને આપણે સેવા કરવી જોઈએ"
પ્રમુખસ્વામી નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં વિશિષ્ટ સભાનું આયોજન
BAPS મહિલાપ્રવૃતિ દ્વારા આજે ડૉ. રતનકંવર ગઢવિચરન, કુસુમ કૌલ વ્યાસ અને અમી પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડૉ. રતનકંવર ગઢવિચરન (IAS, MBBS) ‘સમગ્ર શિક્ષા અભિયાન’ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ પૂર્વે તેઓએ ગાંધીનગરના મ્યુનિસિપલ્ કમિશનર તરીકે, MSME ઇંડસ્ટ્રી કમિશનર તરીકે, હેલ્થ ડેપ્યુટી સેક્રેટરી તરીકે અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે પંચમહાલ, મહિસાગર, પાટણમાં સેવાઓ બજાવી છે.
તેમણે જણાવ્યું કે ‘ભગવાન સ્વામિનારાયણે નારી ઉત્થાનના જે બીજ 200 વર્ષ પહેલાં વાવ્યાં હતા તેના ફળ આજે મળી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જે રીતે મહિલા સ્વયંસેવકો વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે તે નારી શક્તિ અને કૌશલ્યનું પ્રમાણ છે. ‘વસુધૈવ કુટુમબકમ’ ની ભાવનાથી યોજાયેલ આ મહોત્સવ સમાજમાં જરૂરી નૈતિક મૂલ્યો અને શુભ ભાવનાઓનું પ્રવર્તન કરશે. આપણે સૌએ પણ નિસ્વાર્થભાવે શક્ય એટલી સેવા કરવી જોઈએ.”
આયુનેટ હેલ્થકેર તેમજ ટ્રાન્સ સ્ફીયર ટેકનોલોજીસના ડિરેકટર, વિમેન વિંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરપર્સન, ઝેસ્ટ વર્લ્ડવાઈડ કોમ્યુનિકેશન્સના માલિક અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી એવા કુસુમ કૌલ વ્યાસે જણાવ્યું, “ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૨-3 કાર્યક્રમમાં સામેલ થવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજની આંખો ખૂબ પ્રભાવક હતી. જ્યારે હું તેમના ફોટોગ્રાફ સામે જોઉં છું ત્યારે તેમની અમી નીતરતી આંખો હ્રદય સોંસરવી ઉતરી જાય છે. એટલા માટે જ તેઓ સમગ્ર વિશ્વમાં પ્રેમ, આનંદ અને સારપ પ્રસરાવી રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું સૌથી મોટું પ્રદાન એ હતું કે તેમણે સનાતન ધર્મને જીવંત રાખ્યો છે.” અબુધાબીમાં નિર્માણાધીન BAPS હિન્દુ મંદિર ને એક ઐતિહાસિક ઘટના તરીકે તેમણે ઉલ્લેખ કર્યો હતો અને આવા સર્જનના સાક્ષી બનવા માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગરમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અમી પટેલે જણાવ્યું પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વયંસેવિકાઓ તરીકે જોડાયેલા મહિલાઓને બિરદાવ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે તેઓના સુદ્રઢ, આધ્યાત્મિક જોડાણની સ્મૃતિઓને તેમણે વાગોળી હતી. તેમણે જણાવ્યું, “ એ યાદ રાખવું આવશ્યક છે કે ભગવાન હંમેશા આપણાં શ્રેષ્ઠ હિતમાં હોય તેવું કરે છે.”


.jpg)



.jpg)
.jpg)


0 comments