તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ - સ્વામિનારાયણ પ્રકાશ માર્ચ-૨૦૨૧

 તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ

દક્ષિણ ભારતના તત્ત્વજ્ઞાનના મૂર્ઘન્ય વિદ્વાનોએ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને મૌલિક અને નૂતન તત્ત્વજ્ઞાન તરીકે આવકાર્યું...

ભારતીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં હજારો વર્ષોના દીર્ઘ સમય-અંતરાલમાં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણનું પ્રદાન સદા અવિસ્મરણીય રહેશે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતના દાર્શનિક ઇતિહાસમાં વૈદિક, સનાતન, સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપીને ષદર્શનની શૃંખલામાં નૂતન અને મૌલિક પૃષ્ઠ ઉમેર્યું છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા-પ્રેરણાથી, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી છે.

આ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના થયા બાદ, ઉત્તર-દક્ષિણ ભારતમાં અને વિદેશોમાં પણ પ્રકાંડ વિદ્વાનો દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના અક્ષરપુરુષોત્તમ દર્શનના તત્ત્વજ્ઞાનને આ એક મૌલિક અને નૂતન વૈદિક તત્ત્વજ્ઞાન તરીકે સ્વીકાર અને આવકાર મળી રહ્યો છે. તાજેતરમાં એવી જ એક નોંધપાત્ર અને ઐતિહાસિક શાસ્ત્રીય સંગોષ્ઠિ યોજાઈ ગઈ - દક્ષિણ ભારતમાં તિરુપતિ ખાતે.

તિરુપતિ સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીમુરલીધર શર્માએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા સમક્ષ એક વિશિષ્ટ સંકલ્પ પ્રસ્તુત કર્યો કે ‘તિરુપતિ વિદ્યાનું ધામ છે. અહીં સંસ્કૃતનો દાર્શનિક અભ્યાસ થાય છે. શાસ્ત્રાર્થો પણ થાય છે. હાલ જ્યારે અક્ષરપુરુષોત્તમ દર્શનનું પ્રતિપાદન કરતાં ભાષ્યો રચાયાં છે ત્યારે આ દર્શનનો પરિચય અહીંના દક્ષિણ ભારતીય વિદ્વાનોને પણ થવો જોઈએ. મને તો આ દર્શનની શાસ્ત્રીયતા અને વૈદિકતાની પ્રતીતિ છે. ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની વિદ્વત્તાને પણ હું જાણું છું. પરંતુ મને જે પ્રતીતિ છે તેની વાત હું બધા વિદ્વાનોને કરું એના કરતાં વિદ્વાનો જાતે જ સ્વામીજી સાથે શાસ્ત્રાર્થ કરીને તેની પ્રતીતિ કરે તે વધારે ઇચ્છનીય છે. તેમાં પણ એક એક પંડિત તેઓશ્રીને વ્યક્તિગત મળે, ચર્ચા તથા પ્રશ્નોત્તર કરે. અંતે સમસ્ત દક્ષિણ પ્રાંતના મૂર્ધન્ય વિદ્વાનો, સાથે મળીને સ્વામીજી સાથે એક વિનીત અને પ્રશાંત શાસ્ત્રાર્થ કરે, જેમાં આ અક્ષરપુરુષોત્તમ દર્શનની પ્રમાણભૂતતા કેટલી છે? પ્રસ્થાનત્રયીનો આધાર કેવો છે? સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો આધાર કેવો છે? ન્યાય-વ્યાકરણ વગેરે દ્રષ્ટિએ પરિશુદ્ધિ કેવી છે? સ્વામીજીનું ષદર્શનનું જ્ઞાન કેવું છે? વગેરે તમામ પાસાંઓનું અવલોકન થાય.

વળી, તેઓ પ્રસ્થાનત્રયીના એકમાત્ર જીવંત ભાષ્યકાર છે, તો એમનાં દર્શન હું બધા વિદ્વાનોને એવી રીતે કરાવું કે તેઓ એક ભાષ્યકાર છે એનો અનુભવ વિદ્વાનો સ્વયં કરે. તેઓને પ્રતીતિ થયા બાદ આ વિશ્વવિદ્યાલય દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનનાં અધ્યયન અને અધ્યાપનનો આરંભ પણ થાય.'

અને કુલપતિશ્રીનો એ સંકલ્પ સાકાર થયો. ૨૬મી જાન્યુઆરીથી તિરુપતિ ખાતે વિશ્વવિદ્યાલયમાં જ સુદીર્ઘ શાસ્ત્રાર્થનું આયોજન નક્કી થયું. ભદ્રેશદાસ સ્વામી અને નિર્દોષયોગીદાસ સ્વામી તિરુપતિ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય પહોંચ્યા ત્યારે સાથે અક્ષરપુરુષોત્તમ મહારાજની ધાતુની મૂર્તિ સાથે તેઓને આવકારવા કુલપતિશ્રી સ્વયં સામે આવ્યા. વૈદિક વિદ્વાનોએ દાક્ષિણાત્ય પદ્ધતિ પ્રમાણે વેદમંત્રોના ઉચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું. કુલપતિનિવાસમાં જ એક સ્વતંત્ર બંગલામાં તેઓને નિવાસ આપવામાં આવ્યો હતો.

બહુદિવસીય દાર્શનિક ચર્ચાસત્રનો આરંભ પ્રથમ દિવસથી જ દાર્શનિક સંગોષ્ઠિનો આરંભ થઈ ગયો. કુલપતિશ્રીએ ખૂબ સુંદર આયોજન કર્યું હતું. અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત વગેરે વેદાંતના વિદ્વાનો તેમજ ન્યાય, વ્યાકરણ વગેરેના વિશારદ વિદ્વાનો એક પછી એક ભદ્રેશદાસ સ્વામી સાથે અક્ષરપુરુષોત્તમ દર્શન અંગે વિમર્શ કરવા આવવા લાગ્યા. જાણે એક અભૂતપૂર્વ જ્ઞાનયજ્ઞનો આરંભ થયો હોય તેમ સૌ પંડિતોને અનુભવાતું!

પારંપરિક રીતે વિદ્યા પ્રાપ્ત કરેલ આ વિદ્વાનો પોતપોતાના વિષયમાં પ્રકાંડ પાંડિત્ય ધરાવતા હતા. પોતાના સંપ્રદાયમાં પરિનિષ્ઠ હોય, ઉપનિષદો, સંપૂર્ણ ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્રો કંઠસ્થ હોય, ન્યાય અને વ્યાકરણના સિદ્ધાંતો હસ્તામલકવત્ હોય, વારંવાર શાસ્ત્રાર્થોમાં ભાગ લઈ ચૂક્યા હોય તેવા આ વિદ્વાનો હતા. શાસ્ત્રીયતાસભર સંસ્કૃત ભાષા ધારાપ્રવાહથી બોલે. વિષયની શાસ્ત્રીયતા, ગહનતા અને ગંભીરતા લાગે તો જ આમંત્રણને સ્વીકારે અને અશાસ્ત્રીય વાતને ક્યારેય ન સ્વીકારે એવા આ પ્રખર વિદ્વાનો હતા.

સતત નવ દિવસ સુધી સવારથી લઈ સાંજ સુધી કુલપતિનિવાસનું પ્રાંગણ આવા વિદ્વાનોથી ઊભરાતું રહ્યું. દરરોજ લગભગ ૧૦ કલાક સુધી ચર્ચા ચાલતી. આ ચર્ચામાં ભદ્રેશદાસ સ્વામી વચનામૃત ગ્રંથ વાંચીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરપુરુષોત્તમ દર્શન કેવી રીતે પ્રસ્થાપિત કર્યું છે? તેની વાત કરતા. સૌ પ્રથમ તેઓ મૂળ ગુજરાતી ગ્રંથ વાંચતા, પછી વિદ્વાનો પાસે પણ તેનો સંસ્કૃત અનુવાદ વંચાવતા. ત્યારબાદ એ જ વાતો પ્રસ્થાનત્રયીમાં કેવી રીતે છે? તેમાં અક્ષર અને પુરુષોત્તમનો ભેદ કેવી રીતે છે? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ નિત્ય ભેદની વાતો ક્યાં અને કેવી રીતે નિરૂપિત છે? વગેરે વિષયો પર અતિ ગહન ચર્ચાઓ થતી.

વિદ્વાનો ભદ્રેશદાસ સ્વામીની વિદ્વત્તા, નમ્રતા અને સંસ્કૃતભાષા પરનું તેમનું પ્રભુત્વ જોઈ આશ્ચર્ય પામતા. ચર્ચા દરમ્યાન વિદ્વાનો જાતે જ ભદ્રેશદાસ સ્વામી રચિત પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય, વાદગ્રંથ સ્વામિનારાયણ સિદ્ધાંતસુધા, સત્સંગદીક્ષા વગેરે શાસ્ત્રોનું સઘન પર્યાલોચન કરતા. જરૂર પડ્યે ત્રણ ત્રણ કે ચાર ચાર વખત મળીને પણ સંશયોનું સમાધાન મેળવતા. તેમાં પણ અક્ષરબ્રહ્મ તત્ત્વનું વિશદ નિરૂપણ સાંભળીને વિદ્વાનો અચંબિત થઈ જતા. આ વિદ્વાનો પ્રતિદિન ભદ્રેશદાસ સ્વામી સાથે થયેલી ચર્ચાનો અહેવાલ કુલપતિશ્રીને ઉત્સાહપૂર્વક આપતા, કુલપતિને પણ સાનંદ આશ્ચર્ય થતું. આ શાસ્ત્રાર્થ દરમ્યાન વિદ્વાનોએ ઘણા પ્રશ્નો પણ રજૂ કર્યા, જેમ કે

  • અમે શિક્ષાપત્રી વિષે જાણીએ છીએ, પરંતુ વચનામૃત અંગે પ્રથમ વખત સાંભળીએ છીએ તો તેનો પરિચય આપો અને તેના પ્રધાન પ્રતિપાદ્યની જાણ કરો.

  • દ્વૈત દર્શન તથા વિશિષ્ટાદ્વૈત દર્શનમાં જીવન્મુક્તિ માનવામાં નથી આવતી. શું સ્વામિનારાયણ ભગવાને જીવનમુક્તિ માની છે?

  • અદ્વૈતમાં એક જ તત્ત્વ માનવામાં આવે છે, વિશિષ્ટાદ્વૈતમાં ત્રણ તત્ત્વો માનવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને કેટલાં તત્ત્વો માન્યાં છે?

  • દ્વૈત, વિશિષ્ટાદ્વૈત આદિ દર્શનોમાં દહરાકાશ પરમાત્માને કહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના મતે દહરાકાશ શું છે?

  • તૂર્યાવસ્થા એટલે શું?

  • પ્રમાણો કેટલાં છે? ઈત્યાદિ.

આમ, વિદ્વાનોએ જે જે વિષયો પર આશંકાઓ વ્યક્ત કરી તે તમામ આશંકાઓનું ભદ્રેશદાસ સ્વામીએ સ્વસંપ્રદાય અનુસાર સંતોષકારક શાસ્ત્રીય સમાધાન આપ્યું. તેની ફળશ્રુતિ તરીકે દરેકને પ્રતીતિ થઈ કે આ અક્ષરપુરુષોત્તમ દર્શન એ અન્ય કોઈ દર્શન કે તત્ત્વજ્ઞાનની શાખા કે ઉપશાખા નથી, પરંતુ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત દર્શનની જેમ વેદાંત દર્શનની મુખ્ય ધારાઓમાં આવેલું આ એક સ્વતંત્ર વૈદિક સનાતન દર્શન છે.

કેટલાંક કારણોસર પૂર્વે ઘણા વિદ્વાનોની માન્યતા હતી કે આ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈતની જ એક શાખા છે, પરંતુ જ્યારે તેઓએ વચનામૃતનાં મૂળ વચનોનું પઠન કર્યું, સંપ્રદાયના ઈતિહાસ અને તેની શાખાઓ વિશે જાણ્યું, ત્યારે તેઓને પ્રતીતિ થઈ કે અક્ષરપુરુષોત્તમ દર્શન એક સ્વતંત્ર મૌલિક વૈદિક દર્શન છે. અત્યાર સુધી તેઓ આ સંપ્રદાયને એક સારા સંપ્રદાય તરીકે જાણતા હતા, પણ તેની તાત્ત્વિક ભૂમિકા હવે સ્પષ્ટ થઈ.

સામૂહિક શાસ્ત્રાર્થ સભા આ શાસ્ત્રાર્થ સત્રના ઉપલક્ષમાં, કુલપતિશ્રીએ ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં એક વિદ્વત્સંગોષ્ઠિ યોજી હતી. આ વિદ્વત્સંગોષ્ઠિમાં સહભાગી થવા માટે તિરુપતિ ઉપરાંત બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કાંચીપુરમ્, શૃંગેરી વગેરે સ્થાનોમાંથી પણ અનેક વિદ્વાનો પધાર્યા હતા.

વેદાંત, ન્યાય, વ્યાકરણ આદિ ક્ષેત્રોમાં પારંગત અને સ્વમતમાં પરિનિષ્ઠ એવા આ પંડિતોમાં કાંચીકામકોટિપીઠના શાસ્ત્રાર્થ સભાના અગ્રગણ્ય વિદ્વાન મહામહોપાધ્યાય શ્રી આર. કૃષ્ણમૂર્તિ શાસ્ત્રીજી, શારદાપીઠ, શૃંગેરી તથા કાંચીકામકોટિપીઠની શાસ્ત્રાર્થસભાના અગ્રગણ્ય પંડિત મહામહોપાધ્યાય શ્રી મણિદ્રવિડ શાસ્ત્રીજી, પંડિત શ્રી શ્રીપાદ સુબ્રમણ્યમ્ શાસ્ત્રીજી, વ્યાકરણશાસ્ત્રના પારંગત પંડિત શ્રી જે. રામકૃષ્ણજી, પ્રખર નૈયાયિક પંડિત શ્રી રામલાલ શર્માજી, દ્વૈત સંપ્રદાયના અનુયાયી પંડિત શ્રી નરસિંહાચાર્ય પુરોહિતજી, વિશિષ્ટાદ્વૈત દર્શનના અનુયાયી પંડિત શ્રી સી. રંગનાથન્જી, અપરકાલિદાસ કહેવાતા પ્રસિદ્ધ કવિ તથા વેદાંત-મીમાંસાદિ શાસ્ત્રોમાં નિષ્ણાત પંડિત શ્રી જી.એસ.આર. કૃષ્ણમૂર્તિજી, પંડિત શ્રી કે. ગણપતિ ભટ્ટજી, વ્યાકરણશાસ્ત્રના પારંગત પંડિત શ્રી પંકજકુમાર વ્યાસજી, ન્યાય-વેદાંત-મીમાંસા તથા યોગશાસ્ત્રમાં પારંગત એવા પંડિત શ્રી કે. વિશ્વનાથજી, શ્રી શંકર નારાયણજી, ન્યાય તથા દ્વૈત દર્શનના વિદ્વાન શ્રી નારાયણ આચાર્યજી, પંડિત શ્રી કે.એસ. સતીશજી, પંડિત શ્રી શ્રીહરિ શિવરામ ધાયગુડેજી, આચાર્ય ઓ.પી.જી. કલ્યાણ શાસ્ત્રીજી, આચાર્ય નિરંજન મિશ્રાજી, વિશિષ્ટાદ્વૈતના વિદ્વાન આચાર્ય કે. રામાનુજાચાર્યાલુજી, આચાર્ય પી.આર. વાસુદેવન્જી તથા દક્ષિણ ભારતના અન્ય મૂર્ધન્ય વિદ્વાનો સમાવિષ્ટ હતા. સમગ્ર દક્ષિણ ભારતનું વિદ્યાધન જાણે આજે અક્ષરપુરુષોત્તમ દર્શનને સમજવા, વધાવવા ઉત્સુક હતું એવો માહોલ સર્જાયો હતો.

શોભાયાત્રા આ શાસ્ત્રાર્થની પૂર્વરાત્રિએ વિશ્વવિદ્યાલયના વિદ્વાનોએ એક વિશિષ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો. તેઓની ઇચ્છા હતી કે એક શોભાયાત્રા દ્વારા બધા વિદ્વાનો અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ અને અક્ષરપુરુષોત્તમ દર્શનના ભાષ્યગ્રંથોને, કુલપતિ-નિવાસમાં જ્યાં છેલ્લા કેટલાય દિવસથી શાસ્ત્રાર્થ ચાલતો હતો ત્યાંથી લઈને વિશ્વવિદ્યાલયના શાસ્ત્રાર્થ ભવન સુધી લઈ જાય. કુલપતિશ્રીએ પોતે આ શોભાયાત્રા અંગે અનુમતિ આપવા વિનંતી કરી. સંતોની સંમતિ મળતાં સૌ રાજી થયા.

અને આમ, અક્ષરપુરુષોત્તમ દર્શનની એક અપૂર્વ શોભાયાત્રા તિરુપતિ વિશ્વવિદ્યાલયમાં યોજાઈ ગઈ. બેંગલુરુ સ્થિત બી.એ.પી.એસ મંદિરના વ્યવસ્થાપક સંત સરલજીવનદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનું વિધિવત્ પૂજન કર્યું. મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું પૂજન કર્યું. ભદ્રેશદાસ સ્વામીએ સૌ વિદ્વાનો વતી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી મુરલીધર શર્માનું પૂજન કર્યું.

બાદ દિગ્ગજ વિદ્વાનો સાથે શોભાયાત્રા આરંભાઈ. વિદ્વાનોએ પ્રસ્થાનત્રયી સ્વામિ-નારાયણ ભાષ્ય ઇત્યાદિ ગ્રંથોને હાથમાં ધારણ કર્યા હતા. ‘નાદસ્વરમ્’ના સુરીલા નાદ અને ‘થિવલ’ના લયબદ્ધ તાલ સાથે વચ્ચે વૈદિક મંત્રોનો ભવ્ય ઘોષ થઈ રહ્યો હતો. સમગ્ર યાત્રા દરમ્યાન અક્ષરપુરુષોત્તમ મહારાજ પુષ્પવૃષ્ટિથી અભિષિક્ત થતા રહ્યા હતા. શાસ્ત્રાર્થ ભવનમાં મુખ્ય વૈદિકા પર અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય આદિ શાસ્ત્રોને સમ્માન સાથે સ્થાપિત કરવામાં આવ્યા.

શાસ્ત્રાર્થ પ્રથમ સત્ર ત્યાર બાદ શાસ્ત્રાર્થના પ્રથમ સત્રનો આરંભ થયો. પંડિત શ્રી પંકજકુમાર કાર્યક્રમનું સંચાલન કરતા હતા. વૈદિક મંગલાચરણ અને દીપપ્રાકટ્ય થયા બાદ સ્વામી ભદ્રેશદાસજીનું શાલ અને શ્રીફળથી સન્માન કરવામાં આવ્યું. આ દરમિયાન સ્વામિનારાયણ ભગવાન, અક્ષરપુરુષોત્તમ દર્શન, આ દર્શનના ભાષ્યો, ભાષ્યના પ્રેરક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમજ ભાષ્યકાર ભદ્રેશદાસજીની પ્રશસ્તિ કરતાં સ્વરચિત શ્લોકોનું ગાન આધુનિક યુગના કાલિદાસ ગણાતા એવા કવિરાજ પંડિત શ્રી જી. એસ. આર. કૃષ્ણમૂર્તિજી દ્વારા કરવામાં આવ્યું

ત્યારબાદ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક કે. વિશ્વનાથ શાસ્ત્રીજીએ સૌને સ્વામિનારાયણ ભગવાન, બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા તથા મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનો પરિચય કરાવ્યો.

 5

તેમણે કહ્યું, ‘સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક, સનાતન સંપ્રદાય છે. અને આ સંપ્રદાયનું દર્શન એટલે ભગવાન સ્વામિનારાયણે "વચનામૃત"માં પ્રબોધેલું અક્ષરપુરુષોત્તમ દર્શન છે. આ દર્શનનું પ્રતિપાદન કરતાં ભાષ્યગ્રંથો પણ છે. રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં અક્ષરપુરુષોત્તમ દર્શનનાં સ્વાગત, સત્કાર, સમર્થન અને સ્થાપન માટે વિશ્વવિદ્યાલય તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.'

ત્યારબાદ સભામાં ઉપસ્થિત સૌ વિદ્વાનોનું વાક્-પુષ્પાંજલિથી સ્વાગત કરવામાં આવ્યું. બાદ આ વિદ્વત્સંગોષ્ઠિના પ્રથમ પ્રવચનની જાહેરાત થઈ. સૌ પંડિતો શાંત ચિત્તે ભદ્રેશદાસ સ્વામીને સાંભળવા તત્પર હતા. સસ્વર વૈદિક મંગળ ગાન કરી ભદ્રેશદાસ સ્વામીએ સત્સંગદીક્ષામાં આવેલ મંગલાચરણના શ્લોક સાથે પોતાનું વક્તવ્ય સંસ્કૃત ભાષામાં આરંભ્યું. તેઓએ સભાને સંબોધતાં જણાવ્યું, ‘અહં સાધુઃ ભદ્રેશદાસઃ, અક્ષરપુરુષોત્તમદર્શનકિક્કરઃ, ગુરુહરિશ્રીપ્રમુખસ્વામિમહારાજૈઃ દીક્ષિતઃ, ઈદાનીં ગુરુહરિમહન્તસ્વામિમહારાજાનાં નિશ્રાયાં સેવારતોઽસ્મિ...’ અર્થાત્ ‘હું સાધુ ભદ્રેશદાસ, અક્ષરપુરુષોત્તમ દર્શનનો સેવક છું, પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દીક્ષિત છું અને હાલ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં સેવારત છું'.

ત્યારબાદ તેમણે ભગવાન સ્વામિનારાયણ, ગુરુપરંપરા, સંસ્થાના વરિષ્ઠ સંતો, અન્ય સૌ સંતો તથા તમામ હરિભક્તોનું સ્મરણ કર્યું. તેનું કારણ આપતાં તેમણે કહ્યું કે ‘હું તો કેવળ શાસ્ત્રોથી અક્ષરપુરુષોત્તમ દર્શનનો પરિચય આપું છું, પણ આ બધા તો આ દર્શનને સાક્ષાત્ જીવે છે. આ દર્શનનું જ્ઞાન કેવળ ગ્રંથોથી નહીં થાય. તેના માટે આ દર્શનના આશ્રિતોનો, અમારી પરંપરાનો સાક્ષાત્ અનુભવ કરવો પડે. એમના જીવનને નજીકથી નિહાળવાં પડે.' વળી, તેમણે કહ્યું કે ‘હું જે દર્શનની તમને વાત કરું છું તેના લાખો ઉપાસકો છે, હજારો મંદિરો છે. આ દર્શન સંપૂર્ણપણે પ્રસ્થાપિત છે. આપણે સર્વે એક જ શ્રુતિમાતાના પુત્રો છીએ. પુત્રો જુદી જુદી રીતે માતામાં સ્નેહ કરે છે, પરંતુ સ્નેહ સમાન હોય છે અને માતા પણ એક જ હોય છે. એ દૃષ્ટિએ આપણે સૌ ભાઈઓ છીએ.'

ત્યારબાદ વિવિધ દાર્શનિક મતોને નમસ્કાર કરતાં તેઓએ કહ્યું કે, ‘હું અદ્વૈત દર્શનને નમસ્કાર કરું છું. હું વિશિષ્ટાદ્વૈત દર્શનને નમસ્કાર કરું છું. હું દ્વૈતાદિ દર્શનોને નમસ્કાર કરું છું'.

શાસ્ત્રાર્થમાં ઉપસ્થિત પ્રકાંડ વિદ્વાનોના હૃદયના ઉદ્ગારો:

  • ‘ભદ્રેશદાસ સ્વામી ઉપર ગુરુની કૃપા અનેરી છે. જેમ કાલિદાસ ઉપર દેવીની કૃપા હતી તો તેમની શૈલી વિશિષ્ટ હતી, તેમ ભદ્રેશદાસ સ્વામી ઉપર એમના ગુરુની કૃપા છે તેથી તેમનામાં પાંડિત્યની સાથે સુમધુર અને સરળ શૈલી પણ ભળી છે તે એમની વિશેષતા છે. ગુરુકૃપાથી જે પાંડિત્ય પ્રાપ્ત થાય છે તે પરિશ્રમ કરીને મેળવેલા પાંડિત્ય કરતા શ્રેષ્ઠ હોય છે એમાં કોઈ સંદેહ નથી. અહીં એ જોવા મળે છે.’ - મહામહોપાધ્યાય પંડિત શ્રી આર. કૃષ્ણમૂર્તિ શાસ્ત્રી

  • “આજે જે રીતે ગુરુનો મહિમા સ્વામીજીએ ગાયો તે સાંભળતાં અમારા ગુરુ અમારી સામે પ્રત્યક્ષ બેઠા હોય એમ અનુભવાતું હતું.' – પંડિત શ્રી સુબ્રહ્મણ્યમજી

  • ‘આજે જે ચર્ચા થઈ તેથી ફલિત થાય છે કે આ અક્ષરપુરુષોત્તમ દર્શન પણ વૈદિક પરંપરાથી જ પ્રાપ્ત થયેલું દર્શન છે. સ્વામીજીએ પ્રસ્થાનત્રયીનું ભાષ્ય રચ્યું એટલું જ નહીં પણ જે સૂક્ષ્મતાથી તેનું સંયોજન કર્યું છે તે વિસ્મય ઉપજાવે છે.” – મહામહોપાધ્યાય શ્રી મણિદ્રવિડ શાસ્ત્રીજી 

  • "Old is gold, but new is platinum." અક્ષરપુરુષોત્તમ દર્શન માટે આ ઉક્તિ સર્વથા યોગ્ય છે. આ અક્ષરપુરુષોત્તમ દર્શનમાં કોઈ અન્ય દર્શન પ્રત્યે અસૂયા કે દ્વેષ જેવું કાંઈ જોવા મળતું નથી. એક વૈદિક દર્શનમાં જે લક્ષણો હોવાં જોઈએ તે તમામ લક્ષણોથી યુક્ત આ દર્શન છે. આજે સવારે ભદ્રેશદાસ સ્વામીનું જે પ્રવચન થયું એમાં મને એમનામાં મહામહોપાધ્યાત્વનાં દર્શન થયાં. એમના ગ્રંથો વાંચું છું ત્યારે તેઓમાં મને ભર્તૃહરિની શૈલી દેખાય છે.' - શ્રી જે. રામકૃષ્ણજી

  • ‘અક્ષરપુરુષોત્તમ દર્શન સંપૂર્ણપણે શ્રૌત દર્શન છે. અહીં જે કાંઈ પ્રતિપાદિન થયું છે તે બધું જ ઉપનિષદો અને ગીતા વગેરે શાસ્ત્રોના આધારે જ થયું છે. શ્રુતિમાતાને અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત આદિ પુત્રો હતા તેમાં એક નૂતન પુત્રનો પ્રાદુર્ભાવ થયો. એટલે પુત્રજન્મનો ઉત્સવ થાય, તેવો સંતોષ થાય છે. સ્વામીજીને અદ્વૈતની દૃષ્ટિએ મેં જે જે પ્રશ્નો પૂછ્યા, તે બધા પ્રશ્નોના સમાધાન તેમણે આપ્યાં. સપ્રમાણ ઉત્તર આપ્યા. વળી, મેં પૂછ્યું કે આ ભાષ્યની રચના માટે કેટલો સમય થયો હશે? ત્યારે તેમણે કહ્યું કે પોણા બે વર્ષનો સમય થયો હતો. બધા પંડિતો જાણે છે કે એક વર્ષમાં, બે વર્ષમાં, ત્રણ વર્ષમાં કે પાંચ વર્ષમાં પણ એક પુસ્તક લખવામાં કેટલો પરિશ્રમ પડે છે. તો એક દર્શનનું આવું સપ્રમાણ ભાષ્ય લખવામાં લેખન કરનારનું શાસ્ત્રોમાં કેટલું પ્રાવીણ્ય હશે તેનું અનુમાન કરી શકાય છે.” – શ્રી એમ. એલ. એન. મૂર્તિ

  • ત્યારબાદ ભદ્રેશદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક વિવિધ પાસાંઓ સમજાવ્યાં. તેમાં – આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત દર્શન છે, સ્વામિનારાયણ ભગવાન અમારા ઇષ્ટદેવ છે. અક્ષરબ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ પરબ્રહ્મની ભક્તિ કરવી એ આ દર્શનનું મુખ્ય તાત્પર્ય છે.. વગેરે બાબતો પ્રમાણો સાથે નિરૂપી.

    ત્યારબાદ વચનામૃતની સાથે સાથે શ્રીમદ્ભગવદ્ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રમાં જ્યાં જ્યાં અક્ષરપુરુષોત્તમ દર્શનની વિશિષ્ટતા દૃષ્ટિગોચર થાય છે તે તમામ વિશેષતાઓનું વિશદ નિરૂપણ ભદ્રેશદાસ સ્વામીએ શાસ્ત્રોનાં પ્રમાણ સાથે કર્યું. તેમાં પણ તેઓએ લોયા ૧૨, ગઢડા મધ્ય ૩, ગઢડા પ્રથમ ૭ વગેરે વચનામૃતોનાં ગુજરાતી ભાષાનાં મૂળ વચનો વાંચીને દર્શનને ઉજાગર કર્યું ત્યારે સૌને સાનંદ આશ્ચર્ય થયું અને આ દર્શન વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત વગેરેથી પણ જુદું છે એવી પ્રતીતિ થઈ. આથી, સંપ્રદાયના મર્યાદિત શાસ્ત્રોનાં વચનો સાંભળીને ‘તે વિશિષ્ટાદ્વૈતની જ એક શાખા છે' એવી જે ભ્રાંતિ કેટલાક વિદ્વાનોના મનમાં હતી તે ટળી ગઈ.

    દાર્શનિક શાસ્ત્રાર્થ સભામાં આ પ્રકારનું સંબોધન ઉપસ્થિત વિદ્વાનો માટે વિરલ અનુભવ હતો. અક્ષરપુરુષોત્તમ દર્શનનો આ વાસ્તવિક પરિચય હતો. નમ્રતા, ઉદારતા અને અન્ય માટે આદર નિહાળી સૌનાં અંતરમાં પ્રસન્નતાનો ભાવ છવાઈ ગયો.

    ત્યારબાદ ભદ્રેશદાસ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક વિવિધ પાસાંઓ સમજાવ્યાં. તેમાં – આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત દર્શન છે, સ્વામિનારાયણ ભગવાન અમારા ઇષ્ટદેવ છે. અક્ષરબ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ પરબ્રહ્મની ભક્તિ કરવી એ આ દર્શનનું મુખ્ય તાત્પર્ય છે.. વગેરે બાબતો પ્રમાણો સાથે નિરૂપી.

    ત્યારબાદ વચનામૃતની સાથે સાથે શ્રીમદ્ભગવદ્ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્રમાં જ્યાં જ્યાં અક્ષરપુરુષોત્તમ દર્શનની વિશિષ્ટતા દૃષ્ટિગોચર થાય છે તે તમામ વિશેષતાઓનું વિશદ નિરૂપણ ભદ્રેશદાસ સ્વામીએ શાસ્ત્રોનાં પ્રમાણ સાથે કર્યું. તેમાં પણ તેઓએ લોયા ૧૨, ગઢડા મધ્ય ૩, ગઢડા પ્રથમ ૭ વગેરે વચનામૃતોનાં ગુજરાતી ભાષાનાં મૂળ વચનો વાંચીને દર્શનને ઉજાગર કર્યું ત્યારે સૌને સાનંદ આશ્ચર્ય થયું અને આ દર્શન વિશિષ્ટાદ્વૈત અને દ્વૈત વગેરેથી પણ જુદું છે એવી પ્રતીતિ થઈ. આથી, સંપ્રદાયના મર્યાદિત શાસ્ત્રોનાં વચનો સાંભળીને ‘તે વિશિષ્ટાદ્વૈતની જ એક શાખા છે' એવી જે ભ્રાંતિ કેટલાક વિદ્વાનોના મનમાં હતી તે ટળી ગઈ.

    આ પરિચય બાદ આશ્ચર્યમુગ્ધ થયેલી સભાને ઉદેશીને ભાષ્યકાર ભદ્રેશદાસ સ્વામીએ નમ્રભાવે કહ્યું કે, “આ ભાષ્યો મારા દ્વારા લખાયાં નથી એમ હું સ્પષ્ટપણે કહું છું. કારણ કે, આ બુદ્ધિનું કાર્ય ખરેખર નથી, જો તેમ હોય તો તેમાં ઘણા દોષો થાય. અક્ષરપુરુષોત્તમ મહારાજ દ્વારા જ આ પ્રેરિત છે.”

    ત્યારબાદ વિદ્વાન પંડિતો સાથે ચર્ચા આરંભાઈ. તે ચર્ચામાં અનેક જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નો પૂછાયા જેમ કે -

    • અદ્વૈત દર્શનમાં પણ બે બ્રહ્મની કલ્પના કરી છે. તો આ અક્ષરપુરુષોત્તમ દર્શનમાં વિશેષ શું છે?

    • જન્માદ્યસ્ય યતઃ એ બ્રહ્મસૂત્ર સમજાવો.

    • “તત્તુ સમન્વયાત્ એ સૂત્રમાં તત્ શબ્દનો અર્થ શું કરો છો?

    • અક્ષરપુરુષોત્તમ દર્શનમાં મુક્તિનું સ્વરૂપ શું છે?

    • જગતના કારણ તરીકે કોને સ્વીકાર્યા છે?

    • ‘તદૈક્ષત’ એ શ્રુતિમાં ‘તદ્’ શબ્દથી કોનું ગ્રહણ કર્યું છે?

    • “તત્ત્વમસિ' વાક્યનો અર્થ શું કરો છો?

    • બ્રહ્મ સાથે એકતા કહી છે, તો દાસપણું કેવી રીતે?

    • ‘બ્રહ્મ વેદ બ્રહ્મવ ભવતિ’ એ શ્રુતિ-અર્થ કેવી રીતે કર્યો છે?

    • પાંચ તત્ત્વોનું પ્રતિપાદન કરતું સ્વામિનારાયણ ભગવાનનું વચન કહો.

    • 'અથાતો બ્રહ્મજિજ્ઞાસા' સૂત્રમાં અક્ષરપુરુષોત્તમ દર્શન કઈ રીતે છે? ઈત્યાદિ.

    ભદ્રેશદાસ સ્વામીએ વિદ્વાનો દ્વારા પુછાયેલા ઉપરોક્ત તથા અન્ય તમામ પ્રશ્નોના યથોચિત, શાસ્ત્રસંમત અને સમાધાનકારક ઉત્તર આપ્યા હતા. તેઓના ઉત્તરોથી સંતુષ્ટ થયેલા વિદ્વાનો ભદ્રેશદાસ સ્વામીની વિદ્વત્તાથી ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રથમ સત્રના અંતમાં ભદ્રેશદાસ સ્વામીએ મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રણીત સત્સંગદીક્ષા શાસ્ત્ર પર પરિચયાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. નાના બાળકથી માંડીને પ્રકાંડ વિદ્વાન સુધી સૌ કોઈ માટે ઉપયોગી એવા અભિનવ યુગના સ્મૃતિગ્રંથ સમાન આ શાસ્ત્રનું અવલોકન કરતાં વિદ્વાનો ખૂબ પ્રભાવિત થયા હતા.

    શાસ્ત્રાર્થ: દ્વિતીય સત્ર દ્વિતીય સત્રના આરંભમાં ભદ્રેશદાસ સ્વામીએ અક્ષર- પુરુષોત્તમ દર્શનમાં ગુરુનું સ્થાન અને તેમના મહિમા વિષયક સૈદ્ધાંતિક વાતો કરી હતી. તેમણે કહ્યું, “અક્ષરપુરુષોત્તમ દર્શનમાં અક્ષરબ્રહ્મ પણ પરબ્રહ્મની જેમ મનુષ્યરૂપે અવતરે છે એમ માનવામાં આવે છે. આ મનુષ્યરૂપ અક્ષરબ્રહ્મ ગુરુપદે બિરાજમાન હોય છે. અમારો સંપ્રદાય ગુરુમુખી સંપ્રદાય છે. આ અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુમાં પરબ્રહ્મ સાક્ષાત્ રહ્યા છે તેથી તેમને પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુમાં દૃઢ સ્નેહ કરીને એમની આજ્ઞા પ્રમાણે જીવવું એ આ દર્શનનો સિદ્ધાંત છે’.

    અંતે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજના શાસ્ત્રીય મહિમાની વાતો કરી અને કહ્યું કે “આપ જે ભાષ્યની પ્રશંસા કરો છો, તે ભાષ્ય અમારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી જ થયું છે. તેમણે જ આ લખવાની આજ્ઞા કરી હતી. કેવળ આજ્ઞા જ નથી કરી, સૂચનો પણ કર્યાં છે. ‘ભાષ્યોમાં દ્વેષરહિત લખાણ કરવું' એ એમનો આદેશ હતો. તેઓ લખાણમાં સુધારા કરતા. અર્થનિર્ણયો કરતા. શંકાઓનું સમાધાન કરતા. આજે એવા અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુ મહંત સ્વામી મહારાજ છે.”

    ત્યારબાદ પુનઃ પ્રશ્નોત્તરીનો દોર ચાલ્યો. સૌને સંતોષકારક ઉત્તરો મળ્યા તેથી સૌ પ્રસન્ન થયા. સૌને લાગ્યું કે ખરેખર આ અક્ષરપુરુષોત્તમ દર્શન એક સ્વતંત્ર, વિશિષ્ટ, મૌલિક વૈદિક સનાતન દર્શન છે. ત્યારબાદ આ સુદીર્ઘ શાસ્ત્રાર્થના અંતિમ અધ્યાયમાં દસ દિવસનો પરિશ્રમ અને આજની સભાથી અભિભૂત થયેલા વિદ્વાનોએ પોતાના અદ્ભુત અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. (જે આ લેખમાં બોક્સમાં ટાંકવામાં આવ્યા છે.)

    કુલપતિશ્રીનું અધ્યક્ષીય ભાષણ ત્યારબાદ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, તિરુપતિના કુલપતિ શ્રી મુરલીધર શર્માજીએ અધ્યક્ષીય ભાષણ કર્યું. તેમના વક્તવ્યના એક એક શબ્દમાં તેમનો વિશિષ્ટ ભાવ અનુભવી શકાતો હતો. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, 'બધા વિદ્વાનોએ સ્વીકાર્યું કે અક્ષરપુરુષોત્તમ દર્શન એ વૈદિક અને સનાતન દર્શન છે. એ કોઈ અન્ય દર્શનની શાખા નથી, પણ એ સ્વતંત્ર, મૌલિક અને વિશિષ્ટ દર્શન છે. જેમ અન્ય દર્શનોમાં ઉપાસના પદ્ધતિ, તત્ત્વજ્ઞાન, સૃષ્ટિ-મુક્તિ મીમાંસા અને પ્રમાણ મીમાંસા હોય છે, તેમ આ દર્શનમાં પણ છે. એટલે જ આ વેદાંત દર્શન છે એમ અમે સ્વીકાર કરીએ છીએ.

    જેમ રમણીય ઉદ્યાનમાં ચંપો, સેવંતી વગેરે પુષ્પો એકબીજાંથી જુદાં હોવાં છતાં એક જ ઉદ્યાનમાં રહીને પોતાનાં વિશિષ્ટ રૂપ, ગંધ તથા સ્પર્શ વગેરેથી આનંદ ઉપજાવે છે અને શોભે છે તે જ રીતે વેદાંતરૂપી ઉપવનમાં અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત તથા દ્વૈત આદિરૂપે ખીલેલાં પુષ્પોની જેમ આ અક્ષરપુરુષોત્તમ દર્શનરૂપી પુષ્પ પણ પોતાના વિશિષ્ટ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોરૂપી વિશિષ્ટ રૂપ, ગંધ તથા સ્પર્શ આદિ દ્વારા વૈદિક પરંપરાના આશ્રિત સૌ મનુષ્યોને આનંદ ઉપજાવે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વામી ભદ્રેશદાસજીએ તો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને મધ્વાચાર્ય જેવા ભાષ્યકાર આચાર્યોની હારમાળામાં સાધિકાર પ્રવેશ મેળવ્યો છે. તેઓશ્રીના મુખથકી અક્ષરપુરુષોત્તમ દર્શન સાંભળવા મળ્યું, અને તેમની સાથે ચર્ચાનો અવસર પ્રાપ્ત થયો તે આપણાં મોટાં ભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજનો વિશ્વ ઉપર આ મહાન ઉપકાર છે એમ હું માનું છું.”

    એમ કહીને તેમણે સહર્ષ ઘોષણા કરી કે 'અક્ષર- પુરુષોત્તમ દર્શન એ અત્યંત વૈદિક છે અને આ ભાષ્ય શ્રુતિસંમત છે.' તેમણે વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે ઉદ્ઘોષ પણ કર્યો કે, 'પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનનું રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં વિધિવત્ સ્વાગત, સત્કાર અને સ્થાપન કરીએ છીએ.”

    તેમણે આનંદપૂર્વક જાહેરાત કરી કે, “રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં જેમ અદ્વૈત, દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત દર્શનોનું અધ્યયન અને અધ્યાપન થાય છે, તેમ જ અક્ષરપુરુષોત્તમ દર્શનની સ્વસંપ્રદાય અનુસાર, સ્વતંત્ર વૈદિક દર્શન તરીકે અધ્યયન અને અધ્યાપનની પરંપરા ચાલશે. આ અક્ષરપુરુષોત્તમ દર્શન વિલક્ષણતાને લીધે અદ્વૈત આદિ દર્શનોની જેમ વેદાંત સંપ્રદાયોની મુખ્ય ધારાઓમાં સાધિકાર પ્રવેશ પ્રાપ્ત કરે છે.'

    છેવટે સંતોષની લાગણી સાથે તેઓએ જણાવ્યું હતું કે, 'ભાષ્યકાર ભદ્રેશદાસ સ્વામી સાથે સુદીર્ઘ શાસ્ત્રાર્થ થાય તેમજ દક્ષિણ પ્રાંતમાં અક્ષરપુરુષોત્તમ દર્શનનાં સ્વાગત, સત્કાર, સમર્થન અને સ્થાપન થાય એ મારો સંકલ્પ આજે પૂર્ણ થયો.' 

    અંતે તેમણે રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા નિર્મિત સમર્થન આલેખનું પણ પઠન કર્યું હતું. આ સમર્થન આલેખના મુખ્ય અંશો આ પ્રમાણે છે: 'સતત એક સપ્તાહ સુધી અક્ષરપુરુષોત્તમ દર્શનના વિમર્શના અંતે અમે સૌ વિદ્વાનો સાથે મળીને ઘોષણા કરીએ છીએ કે, પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન એક વૈદિક સનાતન દર્શન છે. તેમજ એક વિશિષ્ટ, મૌલિક અને અન્ય દર્શનોથી વિલક્ષણ દર્શન છે. પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્યના નિર્માણથી અક્ષરપુરુષોત્તમ દર્શન યાવચંદ્રદિવાકરૌ રહેશે તે નિર્વિવાદ સત્ય છે. સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ એક વિશિષ્ટ સિદ્ધાંતપ્રવર્તક યુગકાર્ય સંપન્ન થયું છે. આદિ શંકરાચાર્યની જેમ તેઓની શાસ્ત્રપ્રણયન શૈલી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર, પ્રસાદમધુર, દ્વેષાદિ દોષરહિત તથા સ્વસિદ્ધાંત સ્થાપન માટે સમર્થ છે એવી આ ગ્રંથોનું અવલોકન કરનાર સર્વે વિદ્વાનોની અનુભૂતિ છે. સંપૂર્ણ પ્રસ્થાનત્રયીનાં 

    આ ગ્રંથોનું અવલોકન કરનાર સર્વે વિદ્વાનોની અનુભૂતિ છે. સંપૂર્ણ પ્રસ્થાનત્રયીનાં ભાષ્યોનું પ્રણયન કરનાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય ઇત્યાદિ આચાર્યોની પંક્તિમાં પ્રવેશ કરવા માટે સર્વથા યોગ્ય છે. આથી તેઓ ભાષ્યકાર મહાચાર્યની પદવી શોભાવી રહ્યા છે એવો અમારા સર્વ વિદ્વાનોનો હૃદયનો અભિપ્રાય છે.”

    આ સમર્થન આલેખના પઠન બાદ સભામાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું હતું.

    આ સમર્થન આલેખના પઠન બાદ કુલપતિ શ્રી મુરલીધર શર્માજી તથા શાસ્ત્રાર્થમાં ઉપસ્થિત મૂર્ધન્ય વિદ્વાનોએ ભેગા મળીને ભાષ્યકાર સ્વામી ભદ્રેશદાસજીનું સન્માન કરી તેઓને આ સમર્થન આલેખ અર્પણ કર્યો હતો. ત્યારબાદ ભદ્રેશદાસ સ્વામીએ કુલપતિશ્રી તથા ઉપસ્થિત મૂર્ધન્ય વિદ્વાનોને અક્ષરપુરુષોત્તમ દર્શનનું સ્વામિનારાયણ ભાષ્ય અર્પણ કર્યું હતું.

    શાસ્ત્રાર્થ સમાપન

    અંતે વેદોક્ત શાંતિ મંત્ર દ્વારા પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક વિદ્વત્સંગોષ્ઠિનું સમાપન કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ પ્રસંગના સાક્ષી તરીકે અહીં જે નિર્ણયો થયા તેમાં પોતાની સંમતિ દર્શાવતાં સર્વે વિદ્વાનોએ એક પત્ર પર હસ્તાક્ષરો પણ કર્યા હતા. અંતે પુનઃ નાદસ્વરની સુરાવલીઓ સાથે અક્ષરપુરુષોત્તમ મહારાજને લઈ જતા સૌ વિદ્વાનો સમાપન યાત્રામાં જોડાયા હતા. પુનઃ કુલપતિનિવાસમાં અક્ષરપુરુષોત્તમ મહારાજને પધરાવી આજના અલૌકિક પ્રસંગની પૂર્ણાહુતિ કરી. આ પ્રસંગની આનંદ-અભિવ્યક્તિ કરતાં કુલપતિશ્રીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજને ફોન કરી આશીર્વાદ મેળવ્યા અને તેઓને વ્યક્તિગત રીતે પત્ર લખીને પોતાની લાગણીઓ પણ દર્શાવી હતી.

    આ રીતે દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનોએ સાથે મળીને તિરુપતિ ખાતે રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના તત્ત્વાવધાનમાં પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનનું સ્વાગત, સત્કાર, સમર્થન અને સ્થાપન કર્યું એ સમગ્ર દર્શન-વિશ્વ માટે એક ઐતિહાસિક અને નોંધનીય ઘટના બની રહી

 

0 comments

તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ - સ્વામિનારાયણ પ્રકાશ માર્ચ-૨૦૨૧

  તિરુપતિ ખાતે યોજાયો દક્ષિણ ભારતના મૂર્ધન્ય વિદ્વાનો સાથે અક્ષરપુરુષોત્તમ દર્શનનો બહુદિવસીય શાસ્ત્રાર્થ દક્ષિણ ભારતના તત્ત્વજ્ઞાનના મૂર્ઘન્...