૨૦૧૭માં સ્વામીશ્રી રાજસ્થાનમાં પીંડવાડા ખાતે પધાર્યા હતા. અહીં અમેરિકાના રોબિન્સવિલના અક્ષરધામના પથ્થરોનું ઘડતરકાર્ય ચાલી રહ્યું હતું. ઘડતરકામ કરી રહેલા હજારો દલિત અને આદિવાસી કારીગરો પર અપાર પ્રેમવર્ષા કરીને સ્વામીશ્રીએ પ્રત્યેકને આશીર્વાદ આપીને તેમનું અભિવાદન કર્યું હતું. એ જ રીતે ૨૦૧૭માં રોબિન્સવિલ ખાતે પધારીને પણ સ્વામીશ્રીએ ત્યાં સેવામાં જોડાયેલા પ્રત્યેક કારીગરબંધુને મળીને જાહેરમાં તેમનું ખૂબ અભિવાદન કર્યું હતું.
તાજેતરમાં રાજસ્થાનના જોધપુરમાં તો સ્વામીશ્રીએ એ કારીગરો પ્રત્યેના તેમના અહોભાવનું એક વિશિષ્ટ દર્શન કરાવ્યું. જોધપુરમાં મંદિરનિર્માણમાં જોડાયેલા કારીગરોના સન્માનની ઇચ્છા વ્યક્ત કરતાં સ્વામીશ્રીએ વ્યવસ્થાપકોને કહ્યું : 'આપણે બધાને સન્માનવા છે.' ત્યારે કેટલાકને એમ લાગ્યું કે આ એક ઔપચારિક અવસર હશે, પરંતુ વાત ઔપચારિક નહોતી, હૃદયના પ્રેમની હતી!
જો કે કારીગરો તો મંદિરનું નિર્માણ પૂર્ણ કરીને દૂર-સુદૂર પોતાનાં ગામડાંમાં જવા નીકળી ગયા હતા. સ્વામીશ્રીએ કહ્યુંઃ ‘તેમને સંદેશ આપજો કે તમે આટલી સેવા કરી છે તો અમારે તમને સન્માનવા છે. જેમને આવવાની અનુકૂળતા થાય તેમને આપણા ખર્ચે અહીં લઈ આવજો.” સ્વામીશ્રીનો આ સંદેશ મળતાં જ મોટી સંખ્યામાં કારીગર ભાઈઓ હોંશે હોંશે આવવા તૈયાર થઈ ગયા.
સ્વામીશ્રીની ઇચ્છા હતી કે સૌને રાજસ્થાની પરંપરા મુજબ પાઘ પહેરાવીને સન્માનવા છે. આથી તે મુજબ તૈયારીઓ તો થઈ ગઈ, પરંતુ સ્વામીશ્રીને એટલાથી સંતોષ નહોતો. તેઓ સૌ કારીગરોનો મહિમા કહેવા લાગ્યાઃ ‘કારીગરોને શું સમજો છો? તે આપણા જેવા જ છે. કાંઈ ફેર નથી. એટલે એ પ્રમાણે મહિમા સમજીને પાઘ પહેરાવવાની. આપણે એમનું સન્માન કરવાનું છે – અંતરથી!’
સ્વામીશ્રીએ ઇચ્છા વ્યક્ત કરી કે કારીગર ભાઈઓને અહીંના પરંપરાગત નવાં કપડાં ધોતી અને ઝભ્ભો આપવાં છે, બધાને મુખમાં મોતીચૂરના લાડુ પણ જમાડવા છે, પ્રત્યેક કારીગરને તિલક કરવું છે, દરેકને પુષ્પહાર પહેરાવવો છે. સ્વામીશ્રી કહી રહ્યા હતાઃ “હું જાતે જ દરેક કારીગર ભાઈને ચંદનથી ચાંદલો કરું, હાર પહેરાવું, વસ્ત્ર આપું, પાઘ પહેરાવું, મુખમાં લાડુ જમાડું અને બધાનું સન્માન કરું!'
પણ તેઓની ઉંમર, સ્વાસ્થ્ય અને સેંકડો કારીગર ભાઈઓની સંખ્યા! તેથી આ શક્ય નહોતું. સૌએ ખૂબ વિનંતી કરી, પરિણામે પ્રતિનિધિરૂપ કારીગરોનું સન્માન તેમના હાથે થાય અને અન્યનું સદ્ગુરુ સંતોના હાથે સન્માન થાય તેવું ગોઠવાયું.
૨૬મી તારીખે પ્રતિનિધિરૂપ કારીગર ભાઈઓને સ્વામીશ્રીએ સ્વયં ચાંદલો કર્યો, મુખમાં મોતીચૂરના લાડુ જમાડ્યા, વસ્ત્રદાન કર્યું, નિજહસ્તે પાઘડી પહેરાવી, હાર પહેરાવ્યા, અને મસ્તક પર પુષ્પ પણ ચઢાવ્યાં! કારીગરોના મસ્તકે પુષ્પો ચઢાવતી વેળાએ એક ગુલાબની પાછળ ડીંટું હતું, તો સ્વામીશ્રીએ જાતે તે તોડયું ને પછી કારીગર ભાઈના મસ્તક પર ચઢાવ્યું! જાણે ભગવાનના મસ્તક પર ભક્તિભાવથી ચઢાવતા હોય તે જ રીતે અહોભાવથી સ્વામીશ્રીએ સૌને સન્માન્યા! પછી કહ્યું: 'मेहनत की है। भक्तिभाव से की है। भगवान का सम्बन्ध तेते धर्मः आप हमारे जैसे बन जाएँगे। कोई फर्क नहीं हमारे जैसे !' સ્વામીશ્રીના અંતરની ભાવના અમાપ ઊંચાઈએ હતી!
સૌ ગદ્ગદ થઈ ગયા. સંધ્યાસભામાં પણ પુનઃ સૌ પર આશીર્વાદની વર્ષા કરતાં સ્વામીશ્રી અહોભાવમાં આવી કહેવા લાગ્યાઃ “...बनेंगे। उसमें कोई संशय नहीं है। इस लोक की दृष्टि से तो आप बहुत ही बड़े हैं। आप आगे आगे खूब आगे बढ़ोगे...' સૌ કારીગર ભાઈઓએ તાળીનાદ કરી આ અદ્વિતીય ગુરુદેવને વધાવ્યા.
સભામાં પણ કારીગર ભાઈઓનું તો સન્માન કરાયું જ, પણ તેમની સાથે આવેલા નાના-નાના બાળકોનું પણ આ જ રીતે સન્માન કરવામાં આવ્યું. સ્વામીશ્રીને હજુ કંઈક વધુ કરવું હતું. આથી, તેમણે પોતાની હૃદયોર્મિને વાચા આપતો એક સુંદર પત્ર લખીને પણ આ કારીગરોને બિરદાવ્યા.
પત્રમાં સ્વામીશ્રીએ સ્વહસ્તે લખ્યું હતું: “આપ બધાએ ખૂબ પ્રેમથી અને મહિમાથી પથ્થર ઘડતરની ખૂબ જ સેવા કરી છે. આપને સાક્ષાત્ ભગવાનની સેવા મળી છે અને તેમનો સંબંધ થયો છે. તેથી આપ બધાનો મહિમા સમજીએ એટલો ઓછો છે. સંબંધ થયો તેથી જતે દહાડે એકાંતિક થઈ જશો. આપ બધાને દંડવત્ કરીએ અને પગે લાગીએ તો પણ ઓછું છે. આપ તો ભગવાનના ભક્ત છો, નાના નથી, મજૂર નથી પણ મુક્ત છો.'
સ્વામીશ્રીની આ સંવેદના માનવોત્તર પ્રેમના અધ્યાય સમી બની રહેશે. એક ૯૩ વર્ષીય મહાન સંતવિભૂતિ આ નાની ઉંમરના કારીગરોને નાત-જાત-વર્ગ-સમુદાય-વર્ણ-આશ્રમના ભેદ-રેખાઓ તોડીને તેમને દંડવત્ પ્રણામ કરવા માટે આટલી ભાવના દર્શાવે એ સૌને ગદ્ગદ કરી મૂકે તેવો એ અવસર હતો. સૌ શિલ્પીઓ પોતાની સેવાની કદર કરનારા સ્વામીશ્રીને અંતઃકરણપૂર્વક વંદી રહ્યા હતા!!
0 comments